Acts 2

1પચાસમાનો દિવસ આવ્યો, તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 2ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું. 3અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી. 4તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.

5હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં રહેતા હતા. 6તે અવાજ સંભળાયો ત્યારે ઘણા લોકો ભેગા થયા, અને ચકિત થઇ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. 7તેઓ સઘળા વિસ્મિત થયા અને નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા કે, જુઓ, શું આ તમામ બોલનારા ગાલીલના નથી?

8તો કેમ તેઓને આપણે આપણી માતૃભાષામાં બોલતાં સાંભળીએ છીએ? 9પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, 10ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ, 11ક્રીતીઓ તથા અરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં મહાન કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.

12તેઓ સર્વ વિસ્મિત થયા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે, “આ શું હશે?” 13પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધો છે.”

14ત્યારે પિતરે અગિયારની સાથે ઊભા થઇ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે, “યહૂદિયાના માણસો તથા યરૂશાલેમના રહેવાસીઓ, તમે સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો.” 15આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે હજી તો સવારના નવ થયા છે;

16પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે, 17ઈશ્વર કહે છે કે, “છેલ્લા દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે;

18વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે; 19વળી હું ઉપર આકાશમાં અદ્દભુત કામ તથા નીચે પૃથ્વી પર ચિહ્નો બતાવીશ; લોહી, અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા;

20પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે; 21તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.”

22ઓ ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો: ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા તે છતાં, 23ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા. 24ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યા; કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું.

25કેમ કે દાઉદ તેમના વિષે કહે છે કે, મેં પોતાની સંમુખ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ. 26એથી મારું અંતઃકરણ મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે;

27કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ. 28તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે; તમારા મુખના દર્શનથી તમે મને આંનદથી ભરપૂર કરશો.

29ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દફનાવાયો પણ છે, અને તેની કબર આજ સુધી અહીં આપણે ત્યાં છે. 30તે પ્રબોધક હતો, અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ; 31એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના મૃત્યુમાંથી સજીવન થવા વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.

32એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ. 33માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણી ઉપર રેડ્યા છે.

34કેમ કે દાઉદ તો આકાશમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે, 35પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ. 36એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.

37હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ? 38ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય; અને તમને પવિત્ર આત્મા દાન સ્વરૂપે પ્રાપ્ત થાય. 39કેમ કે તે વચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે.

40પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાના દુષ્ટ લોકથી બચી જાઓ. 41ત્યારે જેઓએ તેમની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા
2.41 જળસંસ્કાર = પ્રભુ ઈશુ માનવજાતને પાપમાંથી મુક્તિ અને અનંતજીવનનું દાન આપવા મરણ પામ્યાં, મરણમાંથી સજીવન થયા. જે મનુષ્ય પ્રભુ ઈશુ પર ઉપરોક્ત વિશ્વાસ કરે, તેની જાહેર કબુલાત સ્વરૂપે તેના શરીરને પાણીમાં ડૂબાડવાની ક્રિયા.
(જળસંસ્કાર) પામ્યા. અને તે જ દિવસે ત્રણેક હજાર માણસો ઉમેરાયાં.
42તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં (પ્રભુ ભોજન લેવામાં) તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.

43દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારો થયા. 44તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી. 45તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.

46તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેરઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. અને પ્રભુ રોજરોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા.

47

Copyright information for GujULB